વાપી મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ૧૧ ગામોના નાગરિકોએ વેરો ભરવામાં ભારે ઉત્સાહ દાખવી શહેરના વિકાસમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી છે।

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી યોગેશ ચૌધરીએ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે નવા ભળેલા વિસ્તારોમાં વિકાસકાર્યો અત્યારે પ્રગતિ હેઠળ છે અને જન સુખાકારી માટે અનેક નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે સતત બીજા વર્ષે પણ વેરાના દરમાં કોઈ જ વધારો ન કરવાની જાહેરાત કરીને પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે. જેના પર નાગરિકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માર્ચ માસમાં ૧૧ ગામ વિસ્તારના ૩૪૭૧ મિલકત ધારકોએ પોતાનો રૂ.૧.૪૧ કરોડનો વેરો ભરી દીધો છે. અત્યાર સુધીમાં ૧૧ ગામ વિસ્તારમાંથી રૂ.૧૨.૯૯ કરોડની વેરા વસૂલાત થઈ છે. જે ગત વર્ષ કરતાં ૩.૪૪ કરોડ વધુ છે. ગામ વિસ્તારના લોકોને વેરો ભરવા પ્રોત્સાહિત કરવા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આસ્થા સોલંકીના માર્ગદર્શનમા ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરની રાહબરીમાં ઘરવેરાની ટીમો વિવિધ સોસાયટીઓમાં રૂબરૂ જઈને નાગરિકોને વેરો ભરવા પ્રોત્સાહિત કરી રહી છે. બલીઠા વિસ્તારમાં રાજ રેસિડેન્સી, કરવડમાં સાંઇ આસ્થા, સલવાવમાં શિવાલય કોમ્પ્લેક્ષ, કુંતામાં કુન્તેશ્વર રેસીડેન્સી વગેરેમાં મુલાકાત કરી હતી. આગામી વર્ષે પણ વેરો વધવાનો નથી અને રિબેટ યોજનાનો લાભ મળવાનો છે. પરંતુ જો ૩૧ માર્ચ સુધી વેરો ભરવામાં નહીં આવે તો ૧૨% વ્યાજ લાગી જશે. જેથી બાકી વેરો ભરી પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા જણાવાયું છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો ચાલુ માસમાં બલીઠાના ૬૭૨, છરવાડાના ૬૪૧ અને છીરીના ૪૨૪ મિલકત ધારકો વેરો ભરીને અગ્રેસર રહ્યા છે. નાગરિકો પોતાની જવાબદારી સમજી સમયસર વેરો ભરી વ્યાજની રકમમાંથી મુક્તિ મેળવે તે હિતાવહ છે. ૩૧ માર્ચ સુધી તમામ દિવસો દરમિયાન વેરો સ્વીકારવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા યાદીમાં અનુરોધ થયો છે।
Average Rating